શિરીષ (Albezia lebbeck)

Share with:


Shirish,-Albezia lebbeck-Mimosaceae

शिरीषो विषघ्नानाम् I

      આચાર્ય ચરકે પણ શિરીષનું નિરૂપણ વિષઘ્ન તરીકે જ કરેલ છે.અલગ – અલગ દશ વિષઘ્ન દ્રવ્યો પૈકી શિરીષ એ શ્રેષ્ઠ છે. પ્રાચીન કાળથી જ વિષ (ઝેર) ઊતારવા માટે શિરીષ વપરાતું રહેલું છે જે આજે પણ ગામડાઓમાં તથા વનવાસી વિસ્તારોમાં ખૂબ જ પ્રચલિત છે.આપણા દેશમાં સરસડો એ ઠેરઠેર જોવા મળતી વનસ્પતિ છે અને સરકાર દ્વારા પણ વનીકરણના પ્રોજેક્ટમાં તેનું અવારનવાર વાવેતર થતું રહે છે.બારેમાસ લીલોછમ દેખવાના કારણે તથા ઘટ્ટ પાંદડાંઓની ગોઠવણથી તે સુંદર મજાનો છાંયડો આપવાને કારણે શિરીષ એ ઠેર ઠેર વાવવામાં આવે છે.

કાળો અને સફેદ સરસડો એમ બે પ્રકારમાંથી કાળો સરસડો એ વિષઘ્ન તરીકે વપરાય છે. મધ્યમ પ્રકારનું ૧૦ થી ૨૦ ફૂટની ઊંચાઈવાળા આ વૃક્ષને પીળાં ફૂલો આવે ત્યારે તે ખીલી ઊઠે છે.શિરીષની અડધાથી એક ફૂટ લાંબી મરુન કલરની શિંગોમાં ૮ થી૧૦ બીજ હોય છે.આ બીજમાં સૌથી વધુ વિષઘ્ન જોવા મળે છે.


Albezia lebbeck એ શિરીષનું Botanical નામ છે. તેના બીજ, છાલ અને પુષ્પનો ઔષધ તરીકે ઊપયોગ થાય છે.

ગુણ–કર્મ –
શિરીષ એ લઘુ, રૂક્ષ અને તીક્ષ્ણ છે. વળી સ્વાદે તૂરો, કડવો અને કંઈક અંશે મધુર પણ છે. તે સ્વભાવે થોડા અંશે ઊષ્ણ છે. આમ તો ત્રિદોષશામક ગુણ ધરાવે છે. વિષઘ્ન કર્મની સાથોસાથ તેનો સમાવેશ વેદનાસ્થાપન – દુખવામાં રાહત આપનાર તથા શિરોવિરેચન એટલે માથાનો ભાર હળવો કરનાર –મસ્તિષ્કનાં દોષોને દૂર કરનાર છે.

શિરીષની ત્વચાનું કે તેની શિંગની ત્વચાનું ચૂર્ણ સમાન ભાગે ૩ થી ૬ ગ્રામની માત્રામાં તથા બીજ ૧ થી ૨ ગ્રામની માત્રામાં આપવામાં આવે છે. વિષાકત અવસ્થામાં જ્યારે ઊલટી કરાવવાની હોય ત્યારે શિરીષના રસની છાલના ઊકાળાની તથા બીજના ચૂર્ણની શકય હોય તેટલી વધુ માત્રા આપવી. જેથી જલદીથી ઊલટી થઈને ઝેર બહાર નીકળી જાય. મોટેભાગે વિષઘ્ન પ્રયોગોમાં સહજ – સુલભ હોય તેવા ઠેકાણે જ તેનો ઊપયોગ થતો હોવાથી શિરીષ મોટેભાગે તાજો જ વપરાય છે.વળી ઝેર ચડવાના કે ઝેરી જીવજંતુ કરડવાના બનાવો શહેરમાં ઓછામાં ઓછા બનતાં હોવાને કારણે તેના તૈયાર યોગો પ્રાપ્ય નથી.

रसे शिरीषपुष्प्स्य सप्ताहमरीचं सितम् I
भावितं सर्पદૃष्टानां नस्थपानांगने हितम् I

સફેદ મરીના ચૂર્ણને શિરીષના રસની સાત ભાવના આપીને તૈયાર કરેલ ચૂર્ણનું નસ્ય, પાન અને અંજન સ્વરૂપે ઊપયોગ કરવાથી સાપનું ઝેર ઊતરે છે.આમ શિરીષનો કદાચ સર્પવિષમાં વધુ ઊપયોગ થતો હશે તેવું લાગે છે.


વિવિધ પ્રયોગો (સર્પ વિષ માટે)
૧ સ્વરસ – શિરીષનાં તાજાં, લીલાં પાનનો રસ કાઢી વારંવાર એક-એક કપ પીવડાવતાં રહેવું. ઊલટી કરાવવાની હોય તો મોટી માત્રમાં એક સાથે રસ પીવડાવવો અને જરૂર જણાય તો તેમાં મીંઢણનું ચૂર્ણ કે
અરીઠાનું પાણી પણ ઊમેરવાથી જલદીથી ઊલટી થવા લાગશે.
૨ ચૂર્ણ – શિરીષની આંતરછાલનું ચૂર્ણ ૧-૧ ચમચી અથવા બીજનું ચૂર્ણ ૧ થી ૨ ગ્રામની માત્રામાં આપવું ઘીનું અનુપાન એ સર્પવિષમાં શ્રેષ્ઠ ગણાય છે તેથી ૧૦ ગ્રામ જેટલા ચૂર્ણને ૧૦૦ ગ્રામ ઘી જેટલી માત્રામાં આપવું ફાયદાકારક છે.
૩ ઊકાળો – શિરીષની આંતરછાલનો ઊકાળો વારંવાર આપવો અને જો તેમાં ગાયનું ઘી ઊમેરીને આપવામાં આવેતો ઝડપથી ફાયદો થાય છે.
૪ લેપ – સર્પદંશના સ્થાન પર શિરીષના બીજનો અથવા તો શિરીષના પાનની લુગદીનો લેપ કરવાથી
સોજો અને વેદના ઓછી થાય છે.
૫ નસ્ય – આગળ શ્ર્લોકમાં વર્ણવેલ ચૂર્ણનું નસ્ય આપવું અથવા અરીઠાના ફીણમાં શિરીષના બીજને ઘસીને તે પ્રવાહીનું નસ્ય આપવું

૬ અંજન – આગળ જણાવેલ ચૂર્ણનું અંજન આંજવું . અંજન અને નસ્ય એ સર્પદંશ બાદ ઘેન ન ચડે તે માટે ખાસ ઊપયોગી છે. આ ઊપરાંત કોચલાના ઝેરમાં શિરીષની છાલનો પ્રયોગ કરવાનો ઊલ્લેખ છે. ઊંદર વિષમાં પણ શિરીષની છાલનું ચૂર્ણ ૧ થી ૨ ગ્રામની માત્રામાં ઘી સાથે આપતાં રહેવાનો ગ્રંથાધાર છે.

ટૂંકમાં, વિષઘ્ન ઔષધ તરીકે વપરાતો શિરીષ એ શરીરમાં રહેલ વિવિધ પ્રકારના વિષઆમ તેમજ રકત દોષને દૂર કરતો હોવાથી ઘણા બધા ઔષધ યોગોમાં તેનો સમાવેશ કરેલ છે.

આજકાલ એલોપેથિક ઔષધોની વિવિધ પ્રકારની સાઈડ ઈફેક્ટસ પણ એક વિષાકત અવસ્થા જ છે .આમાં પણ શિરીષ કદાચ તેની વિષઘ્ન કર્મકુશળતાનો પરચો બતાવી શકે પણ તે દિશામાં સંશોધનને ચોકકસ અવકાશ છે. ભગવાન ધન્વન્તરિના આશિર્વાદથી આ દિશામાં આરંભ ચોકકસપણે કરી શકાય.


વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — શિરીષ

શિરીષ (Albezia lebbeck) નું મુખ્ય ઔષધીય કાર્ય શું છે?

આચાર્ય ચરકે શિરીષને દસ શ્રેષ્ઠ વિષઘ્ન (ઝેર ઉતારનાર) દ્રવ્યોમાં ગણેલ છે — તેના બીજ, છાલ અને પુષ્પનો પરંપરાગત રીતે ઝેર ઉતારવા માટે ઉપયોગ થાય છે.

સાપ કરડવા પર શિરીષનો પરંપરાગત ઉપયોગ કેવી રીતે થાય છે?

શિરીષના તાજા લીલા પાનનો રસ કાઢી પીવડાવવો, અથવા સફેદ મરીના ચૂર્ણને શિરીષના રસની ભાવના આપીને તૈયાર કરેલ ચૂર્ણનું નસ્ય-પાન-અંજન સ્વરૂપે ઉપયોગ કરવો એ પરંપરાગત પ્રયોગો છે.

શિરીષ કેટલી માત્રામાં લેવાય છે?

છાલનું ચૂર્ણ ૩ થી ૬ ગ્રામ અને બીજનું ચૂર્ણ ૧ થી ૨ ગ્રામની માત્રામાં આપવામાં આવે છે.

સાપ કરડે કે ઝેર ચડે ત્યારે આ ઘરગથ્થુ ઉપાય પર આધાર રાખી શકાય?

ના. સર્પદંશ કે કોઈપણ ઝેરની અસર જીવલેણ કટોકટી છે — શિરીષ જેવો પરંપરાગત ઉપાય ફક્ત ઐતિહાસિક માહિતી માટે છે. ડંખ વાગ્યા પછી સમય ગુમાવ્યા વિના તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં જઈને એન્ટિ-વેનમ સારવાર લેવી જ સૌથી સલામત અને અસરકારક પગલું છે.

VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.

Share with:


Keep Reading

PreviousNext

Comments

Leave a Reply