ગરમાળો (આરગ્વધ)

Share with:


Embed from Getty Images

૨૦ થી ૩૦ ફૂટ ઊંચા ગરમાળાના વૃક્ષની ઓળખ એ તેની મરુન રંગની પાકેલી તથા લીલા રંગની એકથી દોઢ ફૂટ લાંબી અંગૂઠા જેટલી જાડી ગોળ મજાની લાક્ડી જેવી શિંગો અને તેની ઊપર આવતાં ઝુમ્મર જેવાં તાજા-પીળા વર્ણના ફૂલો એ જ તેની ઓળખ છે.તેની વિશેષતા એ છે કે ચૈત્ર-વૈશાખ મહિનામાં પાન ખરી જાય છે. અને પહેલાં ફૂલો આવે છે ત્યારે માત્ર ડાળી પર ફૂલો જ જોવા મળે છે .ત્યારબાદ પર્ણો નવા ફૂટવા લાગે છે. અને લીલાછમ વૃક્ષમાં પીળાં રંગનાં ઝુમ્મર લટકાવ્યા હોય તેવાં દેખાય છે. તે સુવર્ણ સમાન ચમકદાર અને આકર્ષક લાગવાને કારણે જ તેનું એક નામ સ્વર્ણવૄક્ષ પણ છે.આરગ્વધ ગરમાળો એ ચતુરંગુલના નામથી પણ ઓળખાય છે.
चतुरंगुल मृदुविरेचनानाम् I

ગરમાળાનું મુખ્ય કર્મ એ મૃદુ વિરેચનનું છે તેની શિંગ એ ચાર આંગળની માત્રામાં લેવાની હોઈ તેનું નામ જ ચતુરંગુલ આપણા ઋષિઓએ પાડેલ છે. ગરમાળાનાં પાન, છાલ, શિંગ, ગરમાળાનો ગોળ, ફૂલ તમામ અંગો એ ઔષધીય ગુણ ધરાવે છે.

ગરમાળાની શિંગોમાં રહેલ ગરને ગરમાળાનો ગોળ કહે છે. એ મુખ્યત્વે ઔષધ તરીકે વપરાય છે.

બજારમાં મળતી શિંગો અથવા ગરમાળાનો ગોળ એ સડેલો ,ઘણીવાર ખોટો થઈ ગયેલો અને મધુર હોવાથી ઘણીવાર તેમાં જીવડાં પડી ગયેલ પણ જોવા મળે છે. પણ જો તેનો યોગ્ય ઊપયોગ કરવો હોય તો તેનો વિધિસર સંગ્રહ કરવો પડે અને તેના માટે જ્યારે શિંગો આખી પાકીને મરુન વર્ણની થઈ જાય પછી જ ઝાડ પરથી ઊતારીને તેને સાત દિવસ સુધી રેતીમાં દાટી રાખવી અને પછી તેને બહાર કાઢીને તાપમાં તપાવવાથી ગોળ ઓગળવા લાગશે અને તે ગોળ કાઢીને તેને ચુસ્ત બંધ બોટલમાં ભરીને રાખવો અને આવા ગરમાળાનો ગોળ એ શ્રેષ્ઠતમ પરિણામ આપનાર નીવડે છે.

તેનો સ્વાદ એટલો મધુર છે કે બંગાળમાં તો તમાકુને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે ગરમાળાના ગોળની એક ભાવના પણ આપવામાં આવે છે. કદાચ આ તમાકુથી કબજિયાતમાં રાહત થતી હશે એવો સર્વે થાય તો ખબર પડે!…

અમુક ફાર્મસીઓ દ્વારા બનાવવામાં આવતી ગરમાળાના ગોળ સાથેની ટીકડીઓમાં ગોળની જગ્યાએ સીધેસીધું જ શિંગોનું ચૂર્ણ નાખવામાં આવે છે. ત્યારે આવા સંજોગોમાં ગરમાળો કેટલા અંશે પોતાની શકિત બતાવી શકે ?


ગુણ-કર્મ

  • ગરમાળો એ ગુરુ, સ્વાદિષ્ટ, શીતળ અને મૃદુ રેચન કરાવનાર છે. તેથી જ તે જ્વર, હ્રદયરોગ, રકતપિત્ત, વાત, ગોળો, શૂલનાશક પણ છે.
  • ગરમાળાના ફળ એ રુચિકર, કુષ્ઠઘ્ન (ચામડીના રોગોને મટાડનાર, પિત્તશામક, કફશામક, તથા જ્વરમાં સદાય પથ્ય ગણાવેલ છે. ઉપરાંત કોષ્ઠશુધ્ધિ કરવામાં તે શ્રેષ્ઠ ગણાવેલ છે.
  • ગરમાળાના પાન એ કફ અને મેદશોષક ગુણ ધરાવે છે. મળને ઢીલો કરનાર તથા ખંજવાળ મટાડનાર છે.
  • ગરમાળાનાં ફૂલ એ શીતળ, સ્વાદુ-મધુર, વાયુ વધારનાર તથા કફ-પિત્તનું શમન કરનાર છે.
  • મજ્જા – ફલમજ્જા એ મધુર, સ્નિગ્ધ અને જઠરાગ્નિ વધારનાર છે.

Embed from Getty Images

વિવિધ ઉપયોગો –

  • કબજિયાત – ગરમાળાનો મુખ્ય ઊપયોગ જ મૃદુરેચન આપવામાં થાય છે. કાયમી કબજિયાત રહેતો હોય તથા તીક્ષ્ણ ઔષધ ન આપી શકાય તેવી સ્થિતિમાં ગરમાળાની શિંગને ચાર આંગળ પ્રમાણમાં કૂટીને તેને ગરમ પાણીમાં ઊકાળવાથી તેનો ગોળ એ બહાર આવીને પાણીમાં ભળી જાય છે તેને ગાળીને નિયમિત આપવાથી તે આંતરડામાં ચોંટેલા મળને ધીરે ધીરે ઊખાડીને બહાર લાવવાનું કામ કરે છે.
  • ચર્મરોગ – ચામડીના રોગોમાં પણ રકતદુષ્ટિ મોટેભાગે પિત્તનાં કારણે જ હોવાથી જો ગરમાળાના ગોળનું નિત્ય મૃદુવિરેચન આપવામાં આવે છે. તો રકતશુધ્ધિ થવાથી ચર્મરોગ મટે છે.
  • ખંજવાળ – ખંજવાળની તકલીફમાં ગરમાળાના પાનનું બારીક ચૂર્ણ કરીને તેને સ્નાન કરતી વખતે ગરમ પાણીમાં નાંખીને સ્નાન કરાવવામાં આવે તો ખંજવાળમાં રાહત થવા લાગે છે. વળી એક – એક ચમચી પાનનું ચૂર્ણ ખાવામાં પણ લેવાથી તે મૃદુરેચન લાવીને ખંજવાળને મટાડે છે.
  • બાળકોને રેચન – નાના બાળકોને ઘણીવાર કબજિયાત જોવા મળે છે. અને આવા સંજોગોમાં મળ કઠણ થઈ જવાને કારણે ગુદામાં ચીરા પણ પડવાની શકયતા ઊભી થાય છે ત્યારે ગરમાળા ગોળનું પાણી અથવા તો ગરમાળાના ગોળમાંથી બનાવેલ સ્વાદિષ્ટ સીરપ જો આપવામાં આવે તો ફાયદો થાય છે.
  • ઉદરશૂલ – ઉદરશૂલનું મુખ્ય કારણ એ કબજિયાત અને તેને કારણે થયેલ ગોળો જ હોય છે.આવા સંજોગોમાં ગરમાળાનાં ગોળને થોડું સંચળ ઊમેરીને આપવાથી ફાયદો થાય છે.
  • જ્વર – ज्वरेतु सततं पथ्यं कोषशुध्दिकरમ परम् I જ્વરની અવસ્થામાં પિત્તશમન આવશ્યક હોય છે. વળી તીક્ષ્ણ વિરેચન એ આપી શકાય નહીં ત્યારે માત્ર ને માત્ર ગરમાળો જ જ્વરમાં કોષ્ઠશુધ્ધિ કરાવનાર, આમપાચન કરાવનાર અને પિત્તશમન કરાવનાર હોઈ ગરમાળાનાં ગોળનો ચાર આંગળ પ્રમાણમાં લઈને ઊકાળો કરીને નિયમિત રીતે આપવાથી દોષો ધીરે ધીરે બહાર નીકળવાની સાથે જ્વર તાવ મટવા લાગે છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — ગરમાળો (આરગ્વધ)

ગરમાળો (આરગ્વધ) નું મુખ્ય કાર્ય શું છે?

ગરમાળાનું મુખ્ય કર્મ મૃદુ વિરેચન (હળવો રેચ) છે — તે આંતરડામાં ચોંટેલા મળને ધીરે ધીરે ઉખાડીને બહાર લાવવાનું કામ કરે છે.

કબજિયાત માટે ગરમાળાનો ઉપયોગ કેવી રીતે કરવો?

ગરમાળાની શિંગને ચાર આંગળ પ્રમાણમાં કૂટીને ગરમ પાણીમાં ઉકાળી, ગોળીને ગાળીને નિયમિત આપવાથી કબજિયાતમાં રાહત મળે છે.

ચામડીના રોગો અને ખંજવાળમાં ગરમાળો કેવી રીતે ઉપયોગી છે?

ગરમાળાના ગોળનું નિત્ય મૃદુ વિરેચન લેવાથી રક્તશુદ્ધિ થઈને ચર્મરોગ મટે છે; ખંજવાળ માટે ગરમાળાના પાનનું ચૂર્ણ સ્નાનના પાણીમાં નાખી શકાય અથવા એક ચમચી ચૂર્ણ ખાવામાં લઈ શકાય.

બાળકોની કબજિયાત માટે ગરમાળો સલામત છે?

હા, નાના બાળકોની કબજિયાત માટે ગરમાળાના ગોળનું પાણી અથવા તેમાંથી બનાવેલ સ્વાદિષ્ટ સીરપ આપી શકાય છે, જે હળવો અને સલામત ઉપાય ગણાય છે.

VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.

Share with:


Keep Reading

PreviousNext

Comments

Leave a Reply