જટાશંકરની જટા જેવી દેખાતી નદી કિનારે ઘાસના જેવી જટામાંસીનું એક નામ જટાશંકર પણ
છે. હિંદીમાં તે બાલછડના નામથી તથા સંસ્કૃતમાં जटामांसी કે मासीना નામથી ઓળખાય છે. ચરકે તેનો સમાવેશ સંજ્ઞાસ્થાપન–ચેતના લાવનાર ગણમાં કરેલ છે.જેના પરથી તેની અગત્યતાનો ખ્યાલ આવી શકે છે.બારેમાસ થનાર આ જમીન પર પથરાયેલા છોડમાં એક વિશેષ પ્રકારનું સુગંધી તેલ હોય છે જેના કારણે તેમાં ઔષધીય ગુણો ભરેલા છે.જટામાંસી એ જમીનમાં અને ખાસ કરીને રેતાળ પ્રદેશમાં થતી હોવાથી મોટે ભાગે તેમાં રેતી ખૂબ જ ચોંટેલી હોય છે.અને તેથી તેને બે-ત્રણ વાર બરાબર ધોઈને પછી સૂકવીને જ ઊપયોગમાં લેવી જોઈએ.
તેનું Botanical Name – Nordostachys Jatmansi છે.
ગુણ-કર્મ –
જટામાંસી એ સુંગધીદાર વનસ્પતિ છે અને આ સુગંધ તેની અંદર રહેલ ઉડનશીલ તેલને આભારી છે. જે મોટેભાગે નવમાં ભાગનું હોય છે.
જટામાંસી એ તેના સંજ્ઞાસ્થાપન ગુણને કારણે મુખ્યત્વે માનસ રોગ અને મસ્તિષ્ક્ના રોગમાં ખૂબ જ પ્રભાવી રીતે પરિણામ આપનાર એક દુર્લભ વનસ્પતિ છે.
તે લઘુ, સ્નિગ્ધ અને શીત ગુણયુકત છે.તેમજ સ્વાદે –કડવી, તૂરી અને કંઈક અંશે મધુર પણ છે.તે પચવામાં તીખી છે.
કર્મની દ્રષ્ટિએ વિચાર કરીએ તો તે સ્નિગધ, શીત વીર્ય અને કટુ વિપાકી એમ ત્રણેય દોષનો નાશ કરનાર હોવાથી ત્રિદોષહર છે. તેનાં વિવિધ આંતર–બાહ્ય પ્રયોગો એ અન્ય ઔષધોથી અલગ છે.
આયુર્વેદે વર્ણવેલા અલગ અલગ સુગંધી ઔષધોમાં જટામાંસી એ નાડીતંત્રને ઉત્તેજિત કરનાર, પુષ્ટ કરનાર છે .
ઉપયોગિતા –
ત્રિદોષહર – જૂના રોગોમાં જયાં ત્રણેય દોષની પ્રબળતા હોય અને ખાસ કરીને જ્યારે નાડીતંત્ર તેને કારણે પ્રભાવિત થયું હોય તેવા સંજોગોમાં જટામાંસીનો આભ્યંતર અને બાહ્ય પ્રયોગ કરવાથી લાભ થાય છે. નાડીતંત્ર પુષ્ટ થતાં તેની કાર્યક્ષમતા વધે છે. જટામાંસીથી સિધ્ધ તેલનું માલિશ અને માંસ્યાદિ કવાથ જેવા ઔષધોનું આભ્યાંતર સેવન એ ત્રિદોષના રોગોની સાથે સાથે ત્રિદોષથી થનારા માનસિક રોગોની પણ શાંતિ કરે છે.
સન્નિપાતિક જ્વર – ત્રિદોષથી ઊત્પન્ન થયેલ ભયંકર એવા સન્નિપાત જ્વરમાં જટામાંસીનો ગુગળ જળ સાથે લેપ કરવાથી તે તાપમાનમાં ઘટાડો કરે છે.જટામાંસીથી સિધ્ધ તેલનું મસ્તિષ્ક પર માલિશ કે શિરોધારા કરવાથી મસ્તિષ્ક શાંત રહે છે તથા શરીરની બળતરામાં તુરત જ લાભ થાય છે.
સફેદવાળ – કેશ કલ્પ તરીકે વપરાતાં તમામ યોગોમાં જટામાંસી એ એક આવશ્યક અંગ છે તેના ઉપયોગથી વાળ સફેદ થતા અટકે છે. અકાળે પાકતાં (સફેદ થતાં) વાળની સમસ્યામાં જટામાંસીથી સિધ્ધ કરેલ તેલની નિત્ય મસ્તિષ્કમાં માલિશ કરવાથી, તેનો નસ્ય તરીકે પ્રયોગ કરવાથી તથા શિરોધારા તરીકે પણ પ્રયોગ કરીને વાળ સફેદ થતાં અટકાવી શકાય છે અને અમુક અંશે તેને કાળા પણ કરી શકાય છે. જટામાંસીનો હેરઓઈલના તમામ યોગોમાં ઉપયોગ કરવાથી તે વાળને લાંબા, સુંદર અને કાળા કરવામાં મદદરૂપ થાય છે.
કુદરતી સુગંધ માટે હેરઓઈલમાં જો જટામાંસીનો ઊપયોગ કરવામાં આવે તો કોઈ પણ કૃત્રિમ સુંગધ ઊમેરવાની જરૂર રહેતી નથી .
વાઈ – હિસ્ટીરિયા – અપસ્માર, હિસ્ટીરિયા, વાઈ જેવા રોગોમાં તથા ભૂતબાધા જેવા રોગોમાં જ્યાં રોગી નિષ્ચેષ્ટ બની જાય છે ત્યાં જટામાંસી સાથે સુગંધીવાળો, ગૂગળ, ચંદન, અગરુનો ધૂપ કરવાથી ચેષ્ટા આવે છે.
૨ જટામાંસીનું નિત્ય ચૂર્ણ અડધો ગ્રામ બે વાર દૂધ સાથે લેવાથી ઊદરમાં ગરમી આવે છે. તે વાયુને ઊર્ધ્વ તરફ ધકેલે છે જેને કારણે ઓડકાર આવીને પરસેવો થતાં નાડીતંત્રમાં સંજ્ઞા આવે છે.
વિચારવાયુ – ડિપ્રેશન – સ્ટ્રેસ – મનની ઊચાટવાળી સ્થિતિમાં અલ્પમાત્રામાં જટામાંસીનું ચૂર્ણ દૂધ સાથે લાંબા સમય સુધી આપવાથી મન શાંત થાય છે .
નબળાઈ – સ્નાયુની નબળાઈ તથા સર્વાંગ દોર્બલ્યની સ્થિતિમાં જટામાંસી દૂધ સાથે લેવાથી તે નાડીતંત્રને પુષ્ટ કરવાને કારણે થાક ઓછો કરે છે.
મૂત્રાશય શોથ – મૂત્રકૃચ્છ પેશાબ અટકીને આવવો તથા મૂત્રાશયના સોજામાં જટામાંસીનો ઉકાળો ગોખરુનાં ચૂર્ણ સાથે આપવાથી ફાયદો થાય છે સોજો ઓછો થાય છે અને પેશાબ છૂટથી આવવા લાગે છે .
લીવરનો સોજો કમળો – જટામાંસી એ પિત્તસારક ગુણ ધરાવે છે જેથી કમળો અને લીવરનાં સોજાની તકલીફ વખતે તેનો ઊકાળો થોડી માત્રામાં આપવાથી તે ભૂખ લગાડે છે, પિત્તને ઝાડા વાટે બહાર કાઢે છે.જટામાંસી ઊલટી કરાવનાર હોવાથી તે ઓછી માત્રામાં આપવું હિતાવહ છે .જે વધુ માત્રામાં લેવાઈ જાય તો ઊલટી કરાવી નાંખે છે.અને પિત્ત ઊપરનાં ભાગે નીકળે તો અન્ય બીજી તકલીફો ઊભી કરી શકે છે.
માથાનો દુઃખાવો – જ્ઞાનતંતુના વિકારને કારણે ઊત્પન્ન માથાના દુખાવામાં જટામાંસીનો આભ્યાંતર અને બાહ્ય શિરોભ્યંગ સ્વરૂપે પ્રયોગ અતિ લાભદાયી નીવડે છે, જ્ઞાનતંતુના વિકારની અન્ય ઔષધો હિંગ, કસ્તૂરી વગેરે કરતાં પણ જટામાંસી ત્વરિત અને બળપૂર્વક સારું પરિણામ આપે છે.
માસિક સંબંધી રોગો – માસિક વખતે અશહ્ય પીડા થતી હોય તથા માસિક સ્ત્રાવ નિયમિત ન હોય તેવી સ્થિતિમાં જટામાંસી લાભદાયી છે અને ખાસ કરીને માસિક સ્ત્રાવના આગળના દિવસોમાં જોવા મળતી શારીરિક અને માનસિક તકલીફોમાં જટામાંસી ઊત્કૃષ્ટ પરિણામ આપે છે.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — જટામાંસી
જટામાંસી શાના માટે મુખ્યત્વે વપરાય છે?
જટામાંસી તેના સંજ્ઞાસ્થાપન ગુણને કારણે માનસ રોગ અને મસ્તિષ્કના રોગોમાં ખૂબ પ્રભાવી ગણાય છે; તે નાડીતંત્રને પુષ્ટ કરી તેની કાર્યક્ષમતા વધારે છે.
માથાના દુખાવામાં જટામાંસી કેવી રીતે ઉપયોગી છે?
જ્ઞાનતંતુના વિકારને કારણે થતા માથાના દુખાવામાં જટામાંસીનો આંતરિક ઉપયોગ અને શિરોભ્યંગ (માથા પર માલિશ) સ્વરૂપે બાહ્ય ઉપયોગ બંને ખૂબ ફાયદાકારક ગણાય છે.
સફેદ વાળ અટકાવવા માટે જટામાંસીનો ઉપયોગ કેવી રીતે થાય?
જટામાંસીથી સિદ્ધ કરેલા તેલની નિયમિત માથામાં માલિશ કરવાથી, નસ્ય તરીકે ઉપયોગ કરવાથી કે શિરોધારા તરીકે લેવાથી વાળ અકાળે સફેદ થતા અટકે છે.
માસિક સંબંધી તકલીફોમાં જટામાંસી કેવી રીતે મદદરૂપ છે?
માસિકમાં અસહ્ય પીડા થતી હોય કે માસિક સ્ત્રાવ અનિયમિત હોય તેવી સ્થિતિમાં તથા માસિકના આગળના દિવસોમાં થતી શારીરિક-માનસિક તકલીફોમાં જટામાંસી લાભદાયી ગણાય છે.
જટામાંસી લેતી વખતે શું ધ્યાન રાખવું?
જટામાંસી વધુ માત્રામાં લેવાથી ઊલટી થઈ શકે છે, તેથી તેની માત્રા ઓછી અને નિષ્ણાત વૈદ્યની સલાહ અનુસાર જ રાખવી જોઈએ; માનસિક રોગોમાં તેનો ઉપયોગ યોગ્ય નિદાન અને દેખરેખ હેઠળ કરવો હિતાવહ છે.
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps
Comments