Embed from Getty Images
આયુર્વેદ એ “સ્વાસ્થ્ય રક્ષા” અને “રોગોપચાર” નું એક સંપૂર્ણ વિજ્ઞાન છે. તે માત્ર ફાકી,ઊકાળા કે ગોળીઓ દ્વારા થતી ઔષધ ચિકિત્સા જ નથી પણ વમન,વિરેચન,બસ્તિ,નસ્ય શિરોધારા,રકતામોક્ષણ
જેવા અગણિત કર્મો દ્વારા થતી રહેલી એક સંપૂર્ણ ચિકિત્સા પધ્ધતિ છે.
આયુર્વેદમાં બે પ્રકારની ચિકિત્સા પધ્ધતિ બતાવેલ છે.
(૧) શમન ચિકિત્સા – એટલે કે માત્ર ઔષધ દ્વારા જે તે રોગને કાબૂમાં લઈને તેને નાબૂદ કરીને શરીરને
સ્વાસ્થ્ય અર્પવું.
(૨) શોધન ચિકિત્સા – જેમાં પંચકર્મના વિવિધ કર્મો દ્વારા શરીરમાંથી રોગકારક વિવિધ દોષોને બહાર કાઢીને શરીરને રોગમુકત કરવું.
પંચકર્મની આવશ્યકતા શા માટે ?
આયુર્વેદના બંને હેતુ ને પંચકર્મ ચિકિત્સા એ સાકારિત કરે છે.અને તેથી આયુર્વેદના ઋષિઓએ પંચકર્મ પર વિશેષ ભાર મૂકેલ છે. પણ આ પંચકર્મ એ નિષ્ણાંત વૈધની દેખરેખ હેઠળ જ કરવાનું હોઈ તેમજ તેમાં ઘરે બેઠાં છાપામાથી વાંચીને કે ટીવીમાં પ્રવચન સાંભળીને જાતે જ થઈ શકે તેવું ન હોવાથી તે સમાજમાં એટલું પ્રખ્યાત બન્યું નથી.પણ જેમ-જેમ આધુનિક ચિકિત્સાની આડઅસરો અને વિવિધ ઔષધોના દુષ્પરિણામો બહાર આવતા જાય છે. અને સાથે સાથે નવાનવા રોગોનો પ્રાદુર્ભાવ વારાફરતી સમાજમાં દેખા દે છે. ત્યારે માત્ર આયુર્વેદ ચિકિત્સા પર જ સમાજ મીટ માંડીને બેઠો હોય તેવું આજે પ્રતિત થાય છે અને આ સમયે શાસ્ત્રોકત-શુધ્ધ સ્વરૂપમાં પંચકર્મ સારવાર દ્વારા સમાજને સ્વસ્થ જીવન આપવાનો અમે નમ્ર પ્રયાસ છે.
પંચકર્મ સારવાર પધ્ધતિ એ શરીર શુધ્ધિ માટેની સારવાર પધ્ધતિ છે.અર્થાત પંચકર્મનાં વિવિધ કર્મો દ્વારા શરીર સંપૂર્ણતઃ શુધ્ધ બનાવીને નિરોગી બનાવી શકાય છે.
પંચકર્મ દ્વારા રોગોપચાર
આયુર્વેદે વર્ણવેલ દિનચર્યા–ૠતુચર્યા જેવા આહાર–વિહારના નિયમોનું ઊલ્લંઘન કરીએ ત્યારે શરીરમાં વિવિધ દોષોનો પ્રાદુર્ભાવ થાય છે. જે વધતાં વધતાં છેવટે રોગ લક્ષણ સ્વરૂપે શરીરમાં પ્રગટ થાય છે.અને તે છતાં અયોગ્ય અને અનિયમિત સારાવાર કે પછી સારવાર માટેનું દુર્લક્ષ રાખતાં જયારે તે રોગ કાબૂ બહાર જતો રહે છે ત્યારે પંચકર્મએ એકમાત્ર સહારો બની શકે છે. અર્થાત એવા હઠીલા રોગો કે જેમાં ઔષધો કામ આપવાનું બંધ કરી દે ત્યારે પંચકર્મ દ્વારા શરીરમાંના દોષોનો પ્રભાવ-જોર ઘટાડી દઈને આપણે તે રોગને અસાધ્ય અવસ્થા (ન મટે તેવી અવસ્થા) માંથી મટે તેવી સાધ્ય અવસ્થામાં ફેરવી શકાય છે.આમ,પંચકર્મ એ રોગોપચાર માટે એક રામબાણ સમાન છે.
પંચકર્મ અને સ્વાસ્થ્ય રક્ષા
“સ્વાસ્થ્ય રક્ષા માટે” આયુર્વેદે દિનચર્યા અર્થાત્ કે રોજિંદા શીડ્યુલમાં અને ઋતુચર્યા અર્થાત્ ઋતુ અનુસાર વિવિધ કર્મો દ્વારા સ્વાસ્થ્ય રક્ષા કરવાનું વિધાન કરેલ છે.
દિનચર્યા
જેમ ઘરમાં આખા દિવસની અવરજવર થકી કચરો આવતાં બહેનો રોજ સવારે અથવા દિવસમાં બે ત્રણ વાર કચરો-પોતું વગેરે સાફ સફાઈ કરે છે, તેમ આખા દિવસ દરમ્યાન પણ રોજિંદા કામ થકી, આહારના નિયમોના પાલન ન કરવા થકી, દોડધામ- સ્ટ્રેસ – ઊજાગરા – મુસાફરી કે અન્ય અનિયત જીવનશૈલીથી શરીરમાં પ્રવેશતાં દોષોની રોજરોજ થઈ શકે તે માટે થોડો અભ્યાસ બાદ ઘરે જાતે જ કરી શકાય તેવાં સરળ કર્મો જેવાં કે નસ્ય, અભ્યંગ, ઊદ્વર્તન, શિરોધારા ,શિરોબસ્તિ ,શિરોભંગ ,માત્રાબસ્તિ,કર્ણપૂરણ દ્વારા શરીર સ્વસ્થ રાખી શકાય છે.
ઋતુચર્યા
મૂલતઃ આપણી છ ઋતુ અનુસાર શરીરમાં વાયુ-પિત્ત-કફ આ ત્રણેય દોષોની પોતાની વધ-ઘટ થતી હોય છે.એવા સમયે ઋતુ બદલાય ત્યારે થવાવાળી દોષોની વિષમતા (વધ-ઘટ) ને પંચકર્મ દ્વારા સમાવસ્થામાં લાવીને સ્વાસ્થ્યનું રક્ષણ કરવું જોઈએ.
પંચકર્મ એટલે શરીરનું સર્વિસીંગ
નવી ગાડી લીધા પછી તેના મેન્યુલમાં કેટલા કિલોમીટરે ઓઈલ બદલાવવુ? કેટલા કિ.મી. બાદ સર્વીસ કરાવવી આની સૂચના પ્રમાણે આપણે ચોકકસ થી જ નિયમિત સર્વિસ માટે સમય પણ કાઢીએ છીએ.અને આપણે તેના માટે જાગ્રત પણ હોઈએ છીએ .કારણકે આપણે (૧)તેના માટે પૈસા ખર્ચ્યા છે.

(૨) તેના દ્વારા આપણે સુખ-સગવડ ભોગવીએ છે.ગાડીમાં અવાજ ના આવે એવરેજ ઓછી ન આવે,પીકઅપ બરાબર આવે અને ગોબો પણ ન પડે આ તમામ બાબતો માટે આપણે સજાગ છીએ.પણ…. આપણા શરીર માટે તેટલા ખરાં?….
આપણને શરીર એ ભગવાને વગર પૈસે ખૂબ જ ધ્યાનપૂર્વક ઓરીજનલ સ્પેરપાર્ટસ લગાવીને ટેસ્ટેડ ઓ.કે. સર્ટીફીકેટ આપીને પ્રેમપૂર્વક આપ્યું છે.તો પછી ,આયુર્વેદરૂપી મેન્યુલમાં બતાવેલ સર્વિસ ઓઈલ ચેન્જ ,કયું ઈંધણ વાપરવું? કયું ન વાપરવુ? તેને કયારેય વાંચવાનો પ્રયત્ન કર્યો? આપણા શરીરની એવરેજ સારી આવે,પીક-અપ પણ સારી આવે,રસ્તામાં બંધ ન થઈ જાય તેની માટે આપણે જાગ્રત છીએ ખરા?
વધારે પડતી ચલાવ્યા પછી જો ગાડી ગરમ થઈ જાય તો આપણે તેને આરામ આપીએ છીએ પણ આ શરીરને માટે વિચાર કર્યો છે ખરો? ગાડીને ગોબો પડે કે ગાડીમાં અવાજ આવે તો આપણો જીવબળી જાય છે પણ આ શરીર માટે ?
ગાડીમાં પેટ્રોલ એ સારી ગુણવત્તાનું જ ભરવાનો આગ્રહ રાખીએ છીએ યોગ્ય સમયે તે ભરાવીએ જ છીએ.તેમાં જોખમ આપ્ણે લેતાં નથી અને શરીર માટે ?
બસ, શરીરની આ રીતે યોગ્ય માવજત રાખીએ અને પંચકર્મ એ આપણી ગાડીની સર્વિસીંગની જેમ શરીરની સર્વિસીંગ જ છે કારણ……..પંચકર્મથી શરીરમાં પગથી માથા સુધીના તમામ અવયવો અને પ્રત્યેક કોષ શુધ્ધ થઈ જાય છે. તેમાં રહેલા દોષો બહાર નીકળી જાય છે શરીરનાં પ્રત્યેક કોષને નવું ચૈતન્ય મળે છે.
શરીર શુધ્ધ થતાં શરીરનો જઠરાગ્નિ તથા શરીરની પ્રત્યેક ધાતુનો અગ્નિ સમઅવસ્થામાં આવતાં શરીરની બધીજ ક્રિયાઓ નિયત બને છે.
આયુષ્યમાં વધારો થાય છે.
બધી જ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો નિર્મળ બનતાં આપણે વધારે કાર્યક્ષમબનીએ છીએ .
નિયમિત સ્વરૂપે પંચકર્મ દ્વારા રોગ પ્રવેશ માટે “No Entry” નું બોર્ડ કાયમ માટે લાગી જાય છે.
![]()
પંચકર્મ દ્વારા રસાયન કર્મ (Rejuvenation) અને કાયાકલ્પ (Body Immunization and Longevity)
“यत् जरा व्याधिनाशनम् रसायनम् “ જે શરીરમાંથી વૃધ્ધાવસ્થા અને રોગને દૂર કરે તે રસાયન કર્મ છે.
પંચકર્મ ચિકિત્સા દ્રારા શરીરમાં રહેલા પ્રત્યેક કોષને પ્રત્યેક ઈન્દ્રિયને નવું જીવન મળતાં વૃધ્ધાવસ્થા અને રોગો આવતાં જ અટકાવી શકાય છે.અને તેથી જ જૂનાકાળમાં મોટી ઊંમર સુધી લોકોનું યૌવન ટકેલું હોય તેવાં અગણિત ઊદાહરણો આપણી નજર સમક્ષ છે.
કાયાકલ્પ વિધિએ આયુર્વેદની અનુપમ ભેટ છે.પણ આજના જમાનામાં તે આંશિક સ્વરૂપે આપણે કરી શકીએ છીએ જયારે શરીરમાં વૃધ્ધાવસ્થાને કારણે ક્ષીણતા આવે ત્યારે ફરીથી નવું શરીર અર્થાત કે યુવાવસ્થા જેટલું જ બળવાન-કાર્યક્ષમ શરીરની પુનઃપ્રાપ્તિ કરી શકાય તે માટે “કાયાકલ્પ” વિધિ બતાવેલ છે.પુરાણ કાળમાં આ વિધિ દ્વ્રારા વૃધ્ધ એ ફરીથી નવયૌવન પ્રાપ્ત કરીને સમાજનાં સ્થૈર્ય અને સમાજનાં
વિકાસાર્થ કર્મો માટે ફરીથી પ્રવૃત્ત થતો હતો. આજે નવું યૌવન મેળવવું એ દૂરની વાત છે પણ જે છે તેનો તો બચાવવાનો પ્રયત્ન ચોકકસપણે થઈ જ શકે.
પંચકર્મ અને વાજીકરણ
શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ માટે અને શ્રેષ્ઠ દામ્પત્ય સંબંધ માટે સમાગમ શકિતમાં વૃધ્ધિ અને શ્રેષ્ઠતમ બીજ દ્રારા શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ આ વાજીકરણનો મૂળભૂત હેતુ છે.
પંચકર્મના વિવિધ કર્મોનો પરિચય
“પંચકર્મ” એ મુખ્ય પાંચ કર્મોની સંખ્યા પરથી નામ પડ્યું છે, જેમાં વમન, વિરેચન ,નસ્ય, શિરોધારા,બસ્તિકર્મ જેવાં પાંચ મુખ્ય કર્મો અને અગણિત નાના – નાના કર્મોનો સમાવેશ થાય છે.
અભ્યંગ એ વ્યવહારમાં આજે મસાજ શબ્દથી પ્રચલિત છે પણ, વ્યવહારમાં મસાજની જે સમજ છે તેનાથી આ અભ્યંગ એ અલગ જ છે. આયુર્વેદમાં વિવિધ રોગોપચાર માટે અલગ અલગ ઔષધિથી સિધ્ધ કરેલ તેલ દ્વારા કરવામાં આવતું આ અભ્યંગ એ માત્ર થાક ઊતારવા માટે કરવામાં આવી પ્રક્રિયા નથી.
અભ્યંગનાં વિવિધ પ્રકારો
Embed from Getty Images
સર્વાગ અભ્યંગ
સમગ્ર શરીરના તમામ ભાગોમાં કરવામાં આવતું અભ્યંગ
વમન-વિરેચન વગેરે મુખ્ય કર્મો પહેલાં પણ આ કર્મ કરવામાં આવે છે
પાદાભ્યંગ
શિરોભ્યંગ
માથાનાં ભાગે કરવામાં આવતું અભ્યંગ.
ઊપયુકતતા
સાંધાના તમામ પ્રકારના દુઃખાવામાં ધાતુક્ષીણતા અર્થાત શરીરની નબળાઈ, વજન વધારવા માટે, વજન ઘટાડવા માટે.
સ્વેદન
વિવિધ ઔષધોની બાષ્પ દ્વારા શરીરમાં અભ્યંગ બાદ અથવા તો અભ્યંગ વિના પણ આપવાથી શરીરમાંથી વિવિધ દોષો પરસેવા દ્વારા બહાર નીકળે છે અને સાથે સાથે શરીર હળવું ફૂલ બને છે તેમજ દુઃખાવામાં તુરત જ રાહત મળે છે.
નસ્ય –
નસ્ય કર્મ એટલે ઔષધનાં નાકમાં ટીપાં પાડવાં …. “नासा हि शिरसो द्वारम्“
શરીરમાં ગળાથી ઊપરના ભાગની ચિકિત્સામાં “નસ્ય કર્મ“ ને શ્રેષ્ઠ કર્મ ગણાવેલ છે. તે મસ્તકનું દ્રાર હોઈ માનસિક, નાડીતંત્રનાં, જ્ઞાનતંતુના તમામરોગોની સારવાર પધ્ધતિ છે જેમ કે…..
- માથાનો દુઃખાવો
- આધાશીશી
- માઈગ્રેન
- સાયનસ
- જૂની શરદી
- આંખના રોગો
- કાનના રોગો – કાનનો દુઃખાવો
- જ્ઞાનતંતુના રોગો જેવા કે લકવો (પેરાલીસીસ),મોંનો લકવા ,કંપવાત (પાર્કિન્સન્સ)
- મોંના રોગો
- ખરતા વાળ,સફેદ વાળ
- ટાલ-ઊંદરી વગેરેમાં ઊપયોગી
શિરોધારા –
મસ્તકના કોષોને પોષણ આપતી વિશેષ ચિકિત્સા પધ્ધતિ જેમાં વિવિધ ઔષધ યુકત તેલ ઊકાળા કે ઔષધોની કપાળ અને મસ્તક ભાગે યોગ્ય રીતે ધાર કરવામાં આવે છે.
- ડીપ્રેશન – માનસિક તણાવ
- માનસિક રોગો
- વાઈ જેવા માનસિક રોગો
- જ્ઞાનતંતુ –નાડી તંત્રને લગતાં રોગો જેવાં કે પેરાલીસીસ ,કંપવાત વગેરે.
- બ્લડપ્રેશર
- વાળના રોગો
- ખરતા વાળ,ટાલ ઊંદરી ,સફેદ વાળ વગેરે.
રકત મોક્ષણ (જલૌકા)
જળો દ્વારા દૂષિત લોહીને ખેંચી લઈ ને લોહી શુધ્ધ બનાવીને ત્વચાને નિર્મળ બનાવવાની વિશેષ સારવાર પધ્ધતિ .જે થકી તમામ ચામડીના રોગો ખાસ કરીને ખરજવું, દાદર, સોરાયસીસ વગેરે ઊપરાંત
બ્લડપ્રેશર જેવા રોગોમાં પણ આ ખૂબ ફાયદાકારક છે.
અક્ષિતર્પણ –
ગાયના શુધ્ધ ઘીમાં ઔષધોથી સિધ્ધ કરેલ ઘી દ્વારા કરેલ તર્પણ આંખનું તેજ વધારે છે,નંબર ઘટાડે છે અને આંખના વિવિધ રોગોમાં ઊપયોગી .
- કટિબસ્તિ

કમરનાં દુઃખાવામાં ખાસ ઊપયોગી
- પૃષ્ઠ બસ્તિ
કરોડરજ્જુના દુઃખાવામાં ,સ્પોન્ડીલાન્ટીસમાં ફાયદાકારક
- હ્યદબસ્તિ
હૃદયના વિવિધ રોગોમાં ફાયદાકારક ,હ્યદયને મજબૂતી આપનાર
- જાનુબસ્તિ –
ઘૂંટણ દુઃખાવામાં ફાયદાકારક.
- ગ્રીવાબસ્તિ –
સ્પોન્ડીલાઈટીસ તેમજ ફ્રોજન સોલ્ડરમાં ખાસ ઊપયોગી
સંપૂર્ણ પંચકર્મ
વમન, વિરેચન, બસ્તિ, નસ્ય, શિરોધારા અને રકત મોક્ષણ આ એક સંપૂર્ણ પંચકર્મ ચિકિત્સા છે. જે થકી શરીર એ નવજીવન પ્રાપ્ત કરે છે.તેમજ ઘણાં બધાં એવા હઠીલા દર્દો છે.જેમાં આ સંપૂર્ણ પંચકર્મ કરાવ્યા બાદ ઔષધોની અસર ઝડપી બને છે.જેમ કે,ચામડીનાં રોગો જેવાં કે સોરાયસીસ, સફેદ દાગ.
- જૂનો તાવ
- શ્વાસ
- પક્ષાઘાત (લકવો)
- પ્રમેહ (ડાયાબિટીશ)
- ગાઊટ
- સંગ્રહણી
- વંધ્યત્વ
- ગર્ભસંસ્કાર પૂર્વે
- રસાયન –કાયાકલ્પ ચિકિત્સામાં
- થેલેસેમિયાવાળા દંપતિમાં સંતાનપ્રાપ્તિ પૂર્વે બીજ શુધ્ધિ અર્થે
- ઊપરાંત એવાં લક્ષણ સમૂહ (Syndromes) કે જેમાં રોગોની તીવ્રતા અધિક હોય અને ઔષધોની અસરકરકતા નહિવત
બસ્તિ કર્મ –
ગુદામાર્ગ દ્વારા એનિમાં સ્વરૂપે આપવામાં આવતું ઔષધ દ્રવ્ય – જેને વાયુથી થનારા રોગોની સંપૂર્ણ ચિકિત્સા આયુર્વેદે બતાવેલ છે જે થકી તમામ વાયુના રોગો, સાંધાના રોગો, જૂનો તાવ, પેટના રોગો જેવાં કે સંગ્રણી, ઝાડા, મરડો વગેરે.
શ્વાસ(અસ્થામા), પેરાલીસીસ જેવાં અસાધ્ય રોગો, નપુંસકતા
શિરો બસ્તિ –
મસ્તિકના- વાળના વિવિધ રોગોમાં ઊપયોગી
લેપન કર્મ –
વિવિધ ઔષધોના લેપ દ્વારા શરીરના કોઈપણ ભાગનો સોજો અને ગાંઠમાં અસરકારક છે. રૂમેટોઈડ આર્થરાઈટીસ, ગાઉટ માં વિશેષ લાભદાયક.
ઉત્તર બસ્તિ
યોનિમાર્ગ દ્વારા ગર્ભાશયમાં ઔષધ પ્રવેશ થકી ગર્ભાશયના વિવિધ રોગોની સારવાર
- સ્ત્રી વંધ્યત્વ
- ગર્ભાશયસ્થ વિકાર
- ફેલોપીઅન બ્લોક
આ ઊપરાંત પંચકર્મ માં અનેકવિધ કર્મો અને અનેકવિધ ચિકિત્સાનો સમાવેશ કરી શકાય જેમકે,
- સર્વાંગ ધારા
- તક ધારા
- પાદાભ્યંગ
- માત્રાબસ્તિ
- ડૂશ –પિચુ ધારણ
- ઘૂમ
- અગ્નિકર્મ કવલધારણ
- ગંડૂષ
- અંજન
- લેખન
- શિરઃપિચુ
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — પંચકર્મ
પંચકર્મ એટલે શું?
આયુર્વેદમાં બે પ્રકારની ચિકિત્સા પદ્ધતિ છે — શમન ચિકિત્સા (માત્ર ઔષધથી રોગ કાબૂમાં લેવો) અને શોધન ચિકિત્સા (પંચકર્મના વિવિધ કર્મો દ્વારા શરીરમાંથી રોગકારક દોષોને બહાર કાઢવા). પંચકર્મ એ શરીરને શુદ્ધ કરી નવજીવન આપતી સંપૂર્ણ ચિકિત્સા પદ્ધતિ છે.
પંચકર્મમાં કયા મુખ્ય કર્મોનો સમાવેશ થાય છે?
સંપૂર્ણ પંચકર્મમાં વમન, વિરેચન, બસ્તિ, નસ્ય, શિરોધારા અને રક્તમોક્ષણ — આ છ કર્મોનો સમાવેશ થાય છે.
પંચકર્મ કરાવવાની જરૂર ક્યારે પડે છે?
જ્યારે રોગ હઠીલો બની જાય અને સામાન્ય ઔષધો અસર કરવાનું બંધ કરી દે, ત્યારે પંચકર્મ દ્વારા શરીરમાંના દોષોનું જોર ઘટાડીને અસાધ્ય અવસ્થાને સાધ્ય અવસ્થામાં ફેરવી શકાય છે.
પંચકર્મના મુખ્ય ફાયદા શું છે?
પંચકર્મથી શરીરના તમામ કોષો શુદ્ધ થાય છે, જઠરાગ્નિ અને ધાતુ-અગ્નિ સમઅવસ્થામાં આવે છે, આયુષ્યમાં વધારો થાય છે અને રોગપ્રવેશ સામે શરીરની પ્રતિકારશક્તિ મજબૂત બને છે (રસાયન અને કાયાકલ્પ કર્મ).
પંચકર્મ કયા રોગોમાં ખાસ ઉપયોગી છે?
ચામડીના રોગો (સોરાયસીસ, સફેદ દાગ), જૂનો તાવ, શ્વાસ (દમ), પક્ષાઘાત (લકવો), બ્લડપ્રેશર તથા કમર-ઘૂંટણ-કરોડરજ્જુના દુખાવા જેવી અનેક તકલીફોમાં પંચકર્મ ખૂબ ફાયદાકારક છે.
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps
You must be logged in to post a comment.