આમવાત – એક જટીલ સમસ્યા

Share with:


આયુર્વેદ પ્રમાણે વાયુના 80 પ્રકારના વિવિધ રોગો છે અને આ બધા રોગો પૈકી કેવળ એક આમવાત જ એવો રોગ છે કે તેના પથ્યાપથ્યમાં વિશેષ કાળજી રાખવી પડે છે. કારણ કે તેમાં જો તેનું પાલન કરવામાં સાવચેતી રાખવામાં ન આવે અને યોગ્ય વૈદ્યની સલાહને ન માનતાં માત્ર પોતાની સમજ અને ભવતું જ કરવાની ટેવ ને બદલી ના શકીએ તો આમવાતમાંથી બહાર નીકળવું લગભગ અશક્ય જ છે.

આમ, તો તેનું નિદાન પણ છેતરામણું છે. ભલભલા વૈદ્યો અને ડોક્ટરો વર્ષો સુધી આ રોગને ઓળખી શકતા નથી અને અવળી સારવાર કરી રોગને અસાધ્ય કરી નાખે છે. માત્ર રિપોર્ટને જ માન્ય કરવાવાળા આજના મોડર્ન ડોક્ટર્સ આમવાતના શરૂઆતના લક્ષણોને નોર્મલ રિપોર્ટ ગણીને એકદમ સહજમાં લઇ લેતા હોય છે અને તેના કારણે સરળતાથી મટનારો આમવાત વધારે દુષ્ટ બની જાય છે.

Embed from Getty Images

આમવાતનું પ્રાથમિક નિદાન કરવું એ આયુર્વેદની દ્રષ્ટિએ એકદમ સરળ છે.

  • ખટાશ ખાવાથી સાંધા દુખતા હોય, માલિશ કરવાથી દુઃખાવો વધતો હોય, સવારે અને દિવસે સુઈને ઊઠ્યા પછી સાંધા કે શરીર જકડાઈ જતું હોય, ઘૂંટણ, ઢીંચણ, કમર અને ખભામાં સોજા હોય તો આંખો મીંચીને આમવાતનું નિદાન કરી શકો છો.
  • આમવાત મોટેભાગે ભેજવાળી અને ઠંડી ઋતુમાં વધુ જોર પકડે છે.
  • ઝાડા માણસોને વધારે થાય છે. આળસુ લોકો સાથે તેની દોસ્તી લાંબી ચાલે છે.
  • દહીં, ટામેટા, ખાટી-કેરી, ખાટા-પીણાં, કેળાં, ખાટીછાશ, લીંબુ, આમલી, નારંગી, ફ્રીજનું પાણી, ફ્રુટ-જ્યુસ, ફ્રુટ-સલાડ, વાસી માખણ, શ્રીખંડ વગેરે આ રોગમાં ખાતરનું કામ કરે છે. તેથી આમવાતના દર્દીએ ક્યારે આવો આમવાત વર્ધક આહાર ચાખવો પણ ન જોઈએ.
  • આમવાતના દર્દી મોટેભાગે મેદસ્વી ઊંઘણસી આળસુ અને નિષ્ક્રિય હોવાથી તેમને દિવસે સૂવાનું ખાસ વ્યસન હોય છે. તેથી જે દર્દી દિવસની નિદ્રાનો ત્યાગ કરી શકતા નથી તેમનો આમવાત સ્મશાન સંગાથી બને છે.
  • પંખાનો પવન, એસી ની હવા, ઠંડા પાણીનું સ્નાન, સ્વિમિંગ વગેરે પણ આમવાતમાં વધારો કરે છે.
  • આમવાતના દર્દીના લક્ષણોમાં આયુર્વેદ એ નિદ્રાવિપર્યય એટલે કે ઊંઘ નો અવળો ક્રમ મુખ્ય કારણભૂત ગણાવ્યો છે. આવા દર્દીઓ એટલે કે આવા લોકો મોડા ઊઠે છે કે દિવસે સુવે છે તેથી તેમને રાત્રે ઊંઘ મોડી આવે છે અથવા નથી આવતી; તેથી દિવસે ઊંઘવાનું કે મોડા ઉઠવાનું બહાનું બનતું રહે છે. પછી તે તેના માટે કાયમી બચાવનામું બની જાય છે અને આ અવળો ક્રમ ચાલ્યા જ કરે છે.
  • જો એક વખતે મજબૂત થઈને (જોકે આમવાતના દર્દી મનના મજબૂત હોતા નથી નબળા હોય છે પોતાને કષ્ટ પડે કે પરિવર્તન કરવું પડે તેવું કશું જ કરવા માટે તે તૈયાર થતા નથી.) આ ક્રમ બદલી નાખે તો એટલે કે થોડાક દિવસ પ્રવૃત્તિમાં રહીને સૂવાનું બંધ રાખે તો રાત્રે ઊંઘ આપોઆપ આવી જાય છે અને ઊંઘનો ક્રમ અકુદરતીમાંથી કુદરતી બની જાય છે.
  • વાયુના 79 રોગોમાં માલિશ કરવાનો ખાસ આગ્રહ રાખવામાં આવે છે પણ એકલા આમવાતમાં આમનો વધારો થતો હોવાથી માલિશમાં મનાઈ ફરમાવી છે, પણ લોકો તો વામાં માલિશ સારું એમ માનીને માલિશ કરવાનું ચાલુ રાખે છે અને રોગ વધતો જાય છે.
  • આમવાત જૂનો થયો હોય, અસહ્ય દુઃખાવો થતો હોય, સાંધામાં ટચાકા ફૂટતા હોય એટલે કે વાયુની ખૂબ જ પ્રકુપિત હોય તેવા સંજોગોમાં કેવળ બૃહદ સિંધવાદી તેલ અને મહાવિષગર્ભતેલની માલિશ કરવાની છૂટ છે અને તે પણ માત્ર અને માત્ર વૈદ્યની સલાહ મુજબ જ. જાતો કોઇ પણ પ્રકારના અખતરા કરવા નહીં.
  • વહેલી સવારે અને તેમાંય તો શિયાળામાં ફરવા જવાનું – વ્યાયામ, ફેશન, અનુકરણ, આરોગ્ય, વજન ઘટાડવું, વહેલા ઊઠવું વગેરે હેતુથી કરવામાં આવે છે જે આવકાર્ય છે. પણ આમવાતના દર્દીને સવારનો ઠંડો પવન અને વધુ ચાલવાની ક્રિયાથી સાંધામાં રુક્ષતા વધે છે. વાયુનો શીત અને રુક્ષ ગુણ વાયુમાં વૃદ્ધિ કરે છે અને તેના કારણે શિયાળામાં ઠંડીમાં વધારે ચાલવાથી આમવાતમાં વધારો થાય છે.
  • આમવાતમાં મોટા સાંધામાં વીંછીના ડંખ જેવી અસહ્ય વેદના થતી હોય છે. નબળા મનોબળવાળા દર્દી દુખાવો થતાં જ પેઇન કિલર દવા લઈ લેતા હોય છે અથવા તો તેમને તેમના ડોક્ટર દ્વારા આપવામાં આવતી હોય છે. ઘણીવાર દર્દી ડોક્ટરે આપેલા ડોઝને અવગણીને પોતાની રીતે અને ઘણો વધારે દુખાવાની ગોળીનો ડોઝ લઈ લેતા હોય છે જેના કારણે તેમને અનેક જાતના રિએક્શન અને આડઅસરનું ભોગ બનવું પડતું હોય છે.
  • કોઈપણ પ્રકારની પરેજી પાડ્યા વગર અને કોઈપણ પ્રકારની મુશ્કેલી ઉઠાવ્યા વગર માત્ર દવા લઈને તાત્કાલિક સાજા થઈ જવાની ઘેલછામાં કેટલાય ઉઘાડપગા (ડીગ્રી વગરના બની બેઠેલા ડૉક્ટરો અને આવાં જ બની બેઠેલા વૈદ્યો) ડૉક્ટરો પાસેથી, દૂર-દૂર સુધી જઈને પણ આયુર્વેદના નામે જે પડીકીઓ લેવામાં આવે છે તેની અંદર ભયંકર એવી ઔષધોનું મીલાવટ હોય છે. જે બજારમાં ખૂબ જ સરળતાથી મળે છે અને મેડિકલ કોલેજમાં ભણેલા પ્રત્યેક ડોક્ટર માટે તે જાણીતું ઔષધ હોવા છતાં તેની આડઅસર અને ગંભીર અસરો શરીર પર જે રીતે થાય છે તે જાણતા હોવાના કારણે ડોક્ટરો દ્વારા ક્યારે તેવી દવા આપવામાં આવતી નથી. આપણે અભણ ગમાર એવા બની બેઠેલા વૈદ્ય કે બની બેઠેલા ડોક્ટરો પાસેથી દૂર-દૂર સુધી અંતરિયાળ ગામોમાં જઈને, લાઈનમાં ઊભા રહીને હોશે હોશે આવી પડીકીઓ લઈને આપણા જીવનને જોખમમાં મુકતા હોઈએ છીએ. આ જગતમાં જે દવા મળે છે તે કંઈ કોઇની પોતાની મોનોપોલી છે જ નહીં; મોટાભાગના ડોક્ટરો માનવતાને ખાતે અમુક પ્રકારની ખતરનાક ઔષધો ન આપવાના કારણે અપયશ મેળવતા હોય છે. ખરેખર તે દર્દીઓના જીવનના માટે આશીર્વાદરૂપ હોય છે પણ જેમ રાતોરાત કરોડપતિ બનવાની જલસામાં માણસ બધી જ સંપત્તિ ગુમાવી દે છે અને જુગાર રમી લે છે તેવી જ રીતે રાતોરાત આમવાત જેવા રોગને સાજો કરવા માટે આવો જુગાર રમવો તે યોગ્ય નથી. આટલી સમજણ ઘણીવાર ભણેલા ગણેલા લોકોને પણ નથી હોતી. આ જગતમાં કોઈ એવો જાદુગર થયો નથી કે રાતોરાત રોગ મટાડી દે અને રાતો રાત કરોડપતિ બનાવી દે. તેથી ધીરજ પૂર્વક, યોગ્ય દિશામાં, યોગ્ય વૈદ્યની સલાહથી સારવાર કરવામાં આવે તો ચોક્કસપણે ફાયદો થાય છે.
  • કોઈપણ રોગને મટાડવા માટેની સૌથી મોટી પરેજી હોય તો તે એક જ છે કે તેના નિષ્ણાંતની સલાહ મુજબ જ પરેજી, ઔષધ અને કસરતનું પાલન કરવું. Facebook, youtube, કોઈપણ પ્રકારના સોશિયલ મીડિયા કે કોઈપણ મેડિકલનું ન ભણેલા પાડોશી અને સગા સંબંધીઓનું આપણા રોગ માટે સાંભળવું નહીં, માનવું નહીં અને કરવું પણ નહીં. આ એક માત્ર પરેજી એવી છે કે જેને પાળવાથી આપણે મનથી સ્વસ્થ રહીશું અને તનથી નુકસાન ઓછું કરીશું.
  • આમવાત રોગીઓને દુખાવામાં ઝડપથી રાહત થાય તે માટે સૂંઠ અને ગૂગલનો લેપ કરી શકાય છે. સુકો શેક જેમકે રેતી, ગરમ પાણીની થેલી, ઇલેક્ટ્રીક હીટીંગ પેડ અથવા તો કપડું ગરમ કરીને તેનો શેક કરવાથી ફાયદો થાય છે. લાંબાગાળા સુધી આ પ્રયોગ કરતાં રહેવાથી અને જ્યારે જ્યારે દુખાવો થાય ત્યારે શેક કરતા રહેવાથી લાંબા ગાળે રોગ મૂળમાંથી મટી શકે છે અને કાયમી પણ મુક્તિ મળી શકે છે.
  • સૂંઠના ઉકાળામાં દિવેલ અને સૂંઠ, મેથી તથા અજમાની ફાકી પણ આમવાતના દર્દી માટે આશીર્વાદરૂપ બને છે.
  • આ ઉપરાંત તૈયાર ઔષધોમાં વાતારી ગૂગલ, અજમોદારી ચૂર્ણ, નારસિંહ ચૂર્ણ, રાસ્નાદિ ગુગલ, પુનર્નવાદિ ક્વાથ વગેરે અનેક પ્રકારના ઔષધો વૈદ્યો દ્વારા આપવામાં આવે છે. તે માટે જે તે દર્દીની પ્રકૃતિ અનુસાર, રોગની તીવ્રતા અનુસાર અને તેની માનસિકતા અનુસાર ડોઝ અને ઔષધ બંને નક્કી કરવામાં આવે છે. તેથી દર્દીએ હંમેશા આયુર્વેદિક ચિકિત્સકની સલાહ લઈને, તેમના માર્ગદર્શનથી અને રૂબરૂ કન્સલ્ટેશન કરીને યોગ્ય ઔષધો લેવાની શરૂઆત કરવી જોઈએ. પ્રાઇવેટ ચિકિત્સક ની ફી અને દવાનો ખર્ચ ન પોસાય તો અત્યારે સરકાર દ્વારા ઠેર-ઠેર સરકારી આયુર્વેદ હોસ્પિટલ અને દવાખાનાં શરૂ કરેલ છે ત્યાં જઇને પણ સારવાર લઇ શકો છો. પણ કોઇપણ પ્રકારના જાતે અખતરાં કરીને ઊંટવૈદ્ય ન બનવું જોઇએ.
  • વળી સાંધાના આ દુખાવાને સહજ ન લેતા, તેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉગતા જ ડામવાનો પ્રયત્ન એ આપણા જીવન પર્યંત હાલતા ચાલતા રહેવા માટેની રામબાણ સલાહ છે.
  • આમવાતની સારવારમાં પંચકર્મની વિવિધ પ્રક્રિયા પણ સારવારમાં અસરને ઝડપી બનાવી શકે છે. ઘણીવાર આપણી એવી માન્યતા ઘર કરી ગઇ છે કે અમે પંચકર્મ કરાવી લઇએ અને દવા નથી લેવી તો કેટલા દિવસમાં મટી જાય? આવી માન્યતા એકદમ ભૂલભરેલી છે. આયુર્વેદમાં જો બધું પંચકર્મથી જ મટી જવાનું હોત તો આટલા બધા ઔષધોની જરૂર જ ન પડે. આપણે સાજા થવા માટે જે કરવું પડે તે કરવા માટે તૈયાર હોઇએ તો ચોક્ક્સથી તે સરવાળે આપણાં ફાયદામાં જ હોય છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો..

VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સી ની ઉપર,
કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ 380008
સમય: સોમ થી શુક્ર — 10:00 થી 18:30
યૂટ્યુબ:
આયુર્વેદ ચેનલ,
સેક્સોલોજીસ્ટ
વેબસાઇટ્સ:
lifecareayurveda.com
Gujarati Portal
Gujarati Q&A

Share with:


Keep Reading

PreviousNext

Comments

Leave a Reply